Ghanshyam Maharaj Darshan 3
ભગવાનનું ધામ તો સનાતન છે, નિત્ય છે, અપ્રાકૃત છે, સચ્ચિદાનંદ છે, અનંત છે ને અખંડ છે. તેને દૃષ્ટાંતે કરીને કહીએ છીએ જે, જેમ પર્વત ને વૃક્ષાદિકે સહિત ને મનુષ્ય, પશુ, પક્ષી આદિકની જે આકૃતિ તેણે સહિત એવી જે આ સમગ્ર પૃથ્વી તે કાચની હોય ને આકાશને વિષે જે સમગ્ર તારા તે સર્વે સૂર્ય હોય, પછી તેને તેજે કરીને સમગ્ર આકૃતિએ સહિત કાચની પૃથ્વી જેવી શોભે તેવી શોભાએ યુક્ત ભગવાનનું ધામ છે. એવું જે ભગવાનનું ધામ તેને ભગવાનના ભક્ત છે તે સમાધિને વિષે દેખે છે ને દેહ મૂક્યા પછી એ તેજોમય જે ભગવાનનું ધામ તેને પામે છે. (પ્ર. ૧૨)